સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવાની અને માવતરે જવાની ના પાડતા પત્નીએ નિદ્રાધીન પતિનું કાસળ કાઢી નાખ્યું….
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ વાડીએ રહી ખેત મજૂરી કરતા એક યુવાનની ગતરાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી અને નિદ્રાધીન પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઈ કડીવારની વાડીની ઓરડીમાં રહેતા ખેત મજૂર રવિત ડુંગરસિંહ બામનીયા (ઉ.વ. ૨૧) નામના શ્રમિકની તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરવામાં આવી હતી, જે બનાવમાં મૃતકનાં ભાઈએ ફરીયાદી બની પોતાના ભાઇની પત્ની કરમબાઇ ઉપર શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ દરમ્યાન આ બનાવ રાત્રીના સાડા બારેક વાગ્યા અરસામાં બનેલ હોય અને મૃતકની પત્નીએ બે કલાક બાદ કોઇ અજાણ્યા માણસો તેના પતિનું મોત નિપજાવેલ હોવાની વાત જણાવી હતી,
જે બાબત પણ શંકા ઉપજાવતી હોય જેથી પોલીસે મૃતકની પત્ની કરમબાઇ રવિતભાઇ બામનીયા(ઉ.વ.૨૦, રહે. મુળ ગામ ઉન્ડારી, તા.જોબટ, મધ્યપ્રદેશ, હાલ રહે.પીપળીયારાજની સીમમાં, વાંકાનેર)ને યુકિત પ્રયુકિત અને આગવી ઢબથી સઘન પુછપરછ કરતા આરોપી મહિલા ભાંગી પડી અને સત્ય હકિકત જણાવેલ કે, પોતે તથા મરણ જનાર રવિત ને લગ્નનો એક જ મહીનો થયેલ હોય અને તેનો પતિ તેના સગાવહાલા સાથે ફોનમાં વાત-ચીત કરવાની ના પાડતો હોય અને નાની નાની બાબતે તેણી સાથે ઝઘડો-તકરાર કરતો હોય
અને પોતાના પિતા પાસે જવાનુ કહેતા તેના પતિએ જવાની ના પાડેલ અને કોઇ દિવસ તને જવા નહી દવ તેમ કહેતો હોય અને દામ્પત્ય જીવનમાં પણ સુખ ન હોય જેથી પોતાના પતિ સાથે અણગમો થઇ જતા ગત તા. ૦૫ ના રોજ રાત્રીના સમયે પોતાના પતિ ખાટલામાં સુતો હોય તે વખતે આવેશમાં આવી જઇ ઓરડીમાં પડેલ લોંખડની કૌંસ વડે માથાના પાછળના ભાગે પ્રહાર કરી તથા કુહાડી વડે માથામાં ઇજા પહોંચાડી તેના પતિની હત્યા કરી નાખી હતી, જેથી પોલીસે બનાવમાં મૃતકની પત્નીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…