ગુજરાતની 182 સીટોમાથી ભાજપની 156 બેઠકો પર જીત, જ્યારે કોંગ્રેસ 17 અને AAP માત્ર 5 બેઠકોમાં સમેટાયા…

ભાજપે ગુજરાતમાં અત્યારસુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભાજપને 182 બેઠકો માંથી 156 બેઠકો પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસને 17 આમ આદમી પાર્ટીને 5 બેઠકો પર ચૂંટણી જીતી શકી છે. એક તરફ ભાજપનું ગુજરાત વિધાનસભામાં આ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન છે તો બીજી બાજુ કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન પણ છે. એવામાં કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે તેમને આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને કારણે વધારે નુકશાન થયું છે. જો કોંગ્રેસના વોટ AAP અને AIMIMમાં ન વહેંચાયા હોત તો પરિણામો કઈક જુદા આવ્યા હોત. ત્યારે, સમજવાનો પ્રયાસ કરીએ લે જો ભાજપમાં AAP અને AIMIMને મળેલ વોટ જો કોંગ્રેસને મળ્યા હોત તો પરિણામો શું આવ્યા હોત…..

ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ મુજબ, ભાજપને આ ચૂંટણીમાં 52.5% વોટ મળ્યા છે. તો, આ વખતે કોંગ્રેસને 27.3 % વોટ મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 12.9% વોટ મળ્યા છે અને AIMIMને 0.29% વોટ મળ્યા છે. એટલે જો સમગ્ર રાજ્યની સરેરાશ વૉટની વાત કરવામાં આવે તો કોંગ્રેસ AAP અને AIMIMને કુલ 49.49% વોટ મળ્યા છે….

ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો AAP અને AIMIMને કારણે કોંગ્રેસને મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર ચોક્કસ નુકશાન પહોંચાડ્યું છે. રાજકીય જાણકારોના મત મુજબ, ઘણી બેઠકો પર મુખ્ય વિપક્ષના મતની ટકાવારી પહેલાંની સરખામણીમાં ઘણી ઘટી છે. કારણ કે આ બેઠકો પર AAP અને AIMIMના ઉમેદવારોને ઘણા વોટ મળ્યા છે. વાસ્તવમાં, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ મતદારોની પહેલી પસંદ રહી છે. ખાસકરીને 2002ના રમખાણો બાદ. પરંતુ આ વખતે ન માત્ર AAP અને AIMIMની એન્ટ્રી બાદ મત વહેંચાઈ ગયા પરંતુ ભાજપને ઐતિહાસિક જીત પણ મળી…

ભાજપે આ ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નહોતો ઉતાર્યો. આ સાથે જ કોંગ્રેસે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે AAPએ 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. AIMIM આ વખતે ગુજરાતમાં 13 સીટો પર ચૂંટણી લડી રહી હતી. પાર્ટીએ આમાંથી 12 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા હતા. જો કે તેણે એક પણ બેઠક પર સફળતા ન મળી. જ્યારે, AAPને 5 બેઠકો મળી છે. પરંતુ એવી ઘણી બેઠકો છે જ્યાં બંને પક્ષોએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું…

દરિયાપુર બેઠક પર કોંગ્રેસને મોટું નુકશાન…

મુસ્લિમ બહુમતી ધરાવતી દરિયાપુર બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ, અહીં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ભાજપના કૌશિક જૈન સામે હાથ થઈ છે. ગ્યાસુદ્દીન શેખને 55,847 મત મળ્યા હતા. જ્યારે ભાજપના જૈનને 61,090 મળ્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે અહીં AAPને 4,164 વોટ મળ્યા અને AIMIMને 1,771 વોટ મળ્યા. એટલે કે જો બંનેના મતો ભેગા કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સરળતાથી ચૂંટણી જીતી શક્યા હોત…

જમાલપુર ખાડિયા બેઠક પર કપાયા કોંગ્રેસના વોટ …

જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા સતત ત્રીજી વખત જીત્યા છે. પરંતુ આ વખતે તેમને 2017 કરતા ઓછા વોટ મળ્યા છે. ઈમરાનને 2017માં 75,000 વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે તેમને 58,487 વોટ મળ્યા હતા. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાને આ સીટ પર 15,677 વોટ મળ્યા છે. જ્યારે 5,887 મત AAPના ખાતામાં ગયા…

વાંકાનેર બેઠક પર આપના કારણે કોંગ્રેસની હાર…

વાંકાનેર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી જેમાં છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા આ બેઠક પર વિજેતા થતાં હતાં જેમાં આ વખતે આપ ફેક્ટરના કારણે તેમને 19,955 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં આ વખતે કોંગ્રેસના ઉમેદવારને 60,722 મતો, આપના ઉમેદવારને 53,485 મતો અને ભાજપના ઉમેદવારને 80,677 મતો મળ્યા હતા, જેમાં આપ અને કોંગ્રેસના મતો એક કરવામાં આવે તો ખુબ મોટા માર્જીનથી ભાજપે આ બેઠક ગુમાવી પડી હોત…

બાપુનગરમાં વધી ગયું વોટનું અંતર..

બાપુનગર બેઠકની વાત કરીએ તો અહી કોંગ્રેસના સીટિંગ MLA હિંમત સીન પટેલની ચૂંટણીમાં હાર થઈ છે. તેમને ભાજપના ઉમેદવાર દિનેશ સિંહએ 12,070 વોટથી હાર આપી હતી. અહી AAP અને સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ઉમેદવારોએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના વૉટના અંતરને વધારી દીધું હતું. અહી AAPને 6384 જ્યારે સપાના ઉમેદવારને 3671 વોટ મળ્યા છે…

માંગરોળ બેઠક પર બદલાઈ ગયું હોત પરિણામ…

માંગરોળ બેઠક પર કોંગ્રેસના બે વખતના ધારાસભ્ય બાબુભાઈ વાઝા ભાજપના લાખાભાઈ સામે 22501 મતોથી હારી ગયા. અહીં AAPને 34,314 વોટ મળ્યા અને AIMIMને 10,789 વોટ મળ્યા. જો મતનું વિભાજન ન થયું હોત તો આ બેઠક પર પણ પરિણામ અલગ આવી શક્યું હોત….

દાણીલીમડા બેઠક પર ઘટ્યું જીતનું માર્જિન…

મુસ્લિમ-દલિત પ્રભુત્વ ધરાવતી દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર 13,525 મતોથી જીત્યા. અહીં ભાજપના નરેશભાઈ વ્યાસને 55,381 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારને 68,906 મત મળ્યા. જ્યારે અહીં AAP ઉમેદવારને 22,934 અને AAPના કૌશિકા પરમારને 2,464 મત મળ્યા હતા…

ગોધરામાં વધ્યું જિતનું માર્જિન…

ગુજરાતની સૌથી લોકપ્રિય બેઠક ગોધરામાં ભાજપના ઉમેદવાર સી. કે. રાઉલજીએ કોંગ્રેસના રશ્મિતાબેન ચૌહાણ સામે 35,198 મતોથી જીત મેળવી. રાઉલજીને 96,223 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણને 61,025 વોટ મળ્યા. જ્યારે 2017માં ભાજપે આ સીટ 358 વોટથી જીતી લીધી હતી. આ વખતે અહીં AAPના ઉમેદવાર રાજેશભાઈ પટેલને 11,827 વોટ મળ્યા, જ્યારે AIMIMને 9,508 વોટ મળ્યા. એટલે કે જો AAP અને AIMIM વચ્ચે વોટ કપાયા ન હોત તો બીજેપીની જીતનું માર્જિન ઓછું હોત….

વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/F0IiNebWazC3CSJDdTR4TP

error: Content is protected !!