રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ નેતાઓ જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા. આથી પોલીસે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. અહીં પણ કોંગ્રેસ નેતાઓ ધરણા પર બેસી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા…

આ સાથે જ સરકાર પર આક્ષેપ કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ખેડૂત સંમેલન નિષ્ફળ બનાવવા ભાજપ પોલીસના જોરે અટકાયત કરવામાં આવી છે. લોકશાહી દેશમાં સૌને વિરોધ કરવાનો હક્ક છે. તેમજ કોંગ્રેસ નેતાની ટીંગાટોળી સાથે પોલીસે અટકાયત કરી હતી. અટકાયત સમયે કોંગ્રેસ નેતાઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા…

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોની અટકાયત કરાઇ…

16 જાન્યુઆરીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સભાની મંજૂરી માગી હતી. જેમાં 22 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ખેડૂત સભા યોજવાનું આયોજન છે. પરંતુ બે દિવસથી ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવી રહ્યાં છે. આથી કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનું માર્ગદર્શન હોવા છતાં ખેડૂતોને ખેડૂત સંમેલન કરવાની મનાઇ શા માટે ? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગિરધરભાઇ વાઘેલા, વશરામ સાગઠીયા સહિત વિરોધ કરતા તમામ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…

error: Content is protected !!